Petrol-Diesel Excise Duty : કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ, વિમાનના ઈંધણ (ATF) અને દેશમાં ઉત્પાદિત કાચા તેલ પર લાગતા એક્સાઈઝ ટેક્સ અને સેસમાં ફેરફાર કર્યો છે. 3 ઓગસ્ટ 2026થી આ નવા દરો અમલી બની ગયા છે. આ નિર્ણય બાદ સામાન્ય લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું હવે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ વધી જશે.
સરકારનું નોટિફિકેશન : કયા ઈંધણ પર કેટલો ટેક્સ વધ્યો?
પેટ્રોલ પરનો એક્સાઈઝ ટેક્સ રૂ.2.5 પ્રતિ લીટરથી વધારીને રૂ.3.5 કરાયો છે, એટલે કે રૂ.1નો વધારો થયો છે.
વિમાનના ઈંધણ (ATF) પર ટેક્સ રૂ.14.5થી વધારીને રૂ.22 પ્રતિ લીટર કરાયો છે, જેમાં રૂ.7.5નો વધારો થયો છે.
શું પેટ્રોલ-ડીઝલના ભાવ તરત વધી જશે?
એક્સાઈઝ ટેક્સ વધવાનો અર્થ એ નથી કે પેટ્રોલ પંપ પર ઈંધણ તરત જ મોંઘુ થઈ જશે. છૂટક કિંમતો સરકાર નહીં પરંતુ ઈન્ડિયન ઓઈલ (Indian Oil), ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (Hindustan Petroleum) જેવી તેલ માર્કેટિંગ કંપનીઓ નક્કી કરે છે. આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત, ડૉલર સામે રૂપિયાની સ્થિતિ અને રિફાઈનિંગ ખર્ચ પર નિર્ભર કરે છે. જો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ સસ્તું રહે અથવા કંપનીઓ આ બોજ પોતે સહન કરે તો ગ્રાહકો પર સીધી અસર નહીં પડે.
સામાન્ય નાગરિકો અને મોંઘવારી પર શું પડશે અસર?
જો તેલ કંપનીઓ ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખશે તો આવનારા સમયમાં ભાવ વધી શકે છે. ડીઝલ મોંઘુ થવાથી માલસામાનની હેરફેરનો ખર્ચ વધશે, જેના કારણે શાકભાજી અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. બીજી તરફ, ATF પર ટેક્સ વધવાથી એરલાઈન્સનો ખર્ચ વધશે, જેથી ભવિષ્યમાં હવાઈ મુસાફરી પણ મોંઘી થવાની શક્યતા છે.


